ટીટોડી ના ઈંડા પરથી વરસાદનું અનુમાન : અંબાલાલ પટેલ હવામાન વિષે આપી રહ્યા છે જ્ઞાન

Ambalal Patel , Titodi Eggs : ટીટોડી ક્યાં અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી વરસાદ અંગે અનુમાન કરવામાં આવતું હોય છે.આ પક્ષી જમીન પર જ ઈંડા મૂકે છે અને તેના આધારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જ્ઞાન આપી રહ્યા છે.

વિભુ પટેલ અમદાવાદ :  ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. નક્ષત્રો પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા એટલે કે ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.

ટીટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટીટોડી એવું પક્ષી છે કે જે જમીન પર જ પોતાના ઈંડા મૂકે છે અને મોટાભાગે તે જમીન પર જ ફરતું હોય છે. હવે આ ટીટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે કેટલા ઈંડા મૂક્યા છે કે આ મહિને મૂક્યા છે તેના આધારે વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આપણે ટીટોડીએ ઈંડા ક્યાં મુક્યા તેના પરથી તારણ લગાવતા હોય છે પરંતુ ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે જો ટીટોડી ચાર મહિના ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી કરવામાં આવે છે કે વરસાદ ક્યારે માસ સારો થશે જો એક ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ બે ઈંડા મૂકે તો શ્રાવણમાં વરસાદ ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે છે.

તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે જો ટીટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસુ ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

જોકે પક્ષીઓને દુકાળ પડવાનો હોય તો અગાઉ જ ખબર પડી જતી હોય છે. ટીટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયાઓ પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.

જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં નાહી તો પણ વરસાદ સારો થાય છે અને જો ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહેશે તેવું પણ તારણ કાઢી શકાતું હોય છે.

Leave a comment